ગુજરાતમાં મહીસાહર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને મહીસાગરમાં સતિપતિ અદિવાસી લોકોને ઉશ્કેરવાનો અને વર્તમાન સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યાનો આરોપ લાગ્યો હતો. આ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી પકડાયાં જ્યારે બાકીના બે પુરુષ તાપીના વ્યારામાંથી પકડાયા છે. આ ત્રણેય આરોપી મૂળે ઝારખંડનાં છે.
દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના ડાંગ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લામાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વસે છે.
સતિપતિની વાત કરીએ તો વર્ષ 1930ના દાયકામાં કથિતરૂપે આદિવાસીઓનો એક એવો સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો, 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ ભારતની સરકાર સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુજરાતના તાપી જિલ્લામાંથી શરૂ થયેલા આદિવાસીઓનો આ સંપ્રદાય સતિપતિ સમુદાય તરીકે ઓળખાય છે અને આઝાદીનાં 70 વર્ષથી વધારે વીતી ગયાં હોવા છતાં તે સ્થાનિક, રાજ્ય કે પછી ભારત સરકારના નિયમોને માનવાનો ઇન્કાર કરે છે.
ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં આદિવાસીઓનો એક સમુદાય એવો પણ છે કે જે માને છે કે ભારતને આઝાદી મળી તે પહેલાં બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાએ સતિપતિ સમુદાયના સ્થાપક કુંવર કેસરીસિંહને જંગલની જમીન અને નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનનો હક ભેટમાં આપ્યો હતો. આદિવાસીઓનો આ સમુદાય સ્થાનિક, રાજ્ય કે પછી કેન્દ્રીય સરકારને માનતો નથી તથા કોઈ પણ સરકારી ગતિવિધિમાં ભાગ લેતો નથી. સતિપતિ સમુદાય પોતાને મૂળનિવાસી તરીકે માને છે અને તેઓ સમજે છે કે જંગલની જમીન, પાણી અને અન્ય સંસાધનો પર તેમનો સીધો અધિકાર છે. તેઓ સરકારની દખલગીરીને સ્વીકારતા નથી. આ લોકો પોતાને જ સરકાર માને છે. આ લોકો ચૂંટણીમાં પણ ભાગ લેતા નથી. શિક્ષણના અભાવે જાગૃતતાની કમી છે, જેને કારણે આ સમુદાયમાં ભારે ગરીબીમાં જીવે છે.
અખબારે અહેવાલો અનુસાર વર્ષ 2012માં સરકારી અધિકારીઓએ આ સમુદાય ચૂંટણીમાં ભાગ લે એ માટે ઓળખપત્ર બનાવવાની ઝુંબેશ ચલાવી હતી. જેના પરિણામે ડાંગ અને નર્મદા જિલ્લામાં સતિપતિ સમુદાયના લોકોએ ચૂંટણી માટે ઓળખપત્રો બનાવ્યા હતા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.