તાજી ખબરોલાઈફસ્ટાઈલ
કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે.
વૅન્ટિલેટર પર રહેલા દરદીના મૃત્યુનું જોખમ આ દવા ત્રણ ગણું ઘટાડી દે છે. જે દરદીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય, તેમના મૃત્યુનું જોખમ આ દવા પાંચ ગણું ઘટાડી દે છે.
યુકેના નિષ્ણાતોનું કહેવું છે કે આ લૉ-ડોઝ સ્ટૅરોઇડ ટ્રીટમૅન્ટ વાઇરસ વિરુદ્ધની લડાઈમાં બહુ મોટી મહત્ત્વપૂર્ણ શોધ છે. સંશોધકોનો અંદાજ છે કે કોરોના વાઇરસની મહામારીની શરૂઆતથી જ જો આ દવા યુકેમાં ઉપલબ્ધ હોત તો 5 હજાર જેટલી જિંદગીઓ બચાવી શકાઈ હોત. તેમનું માનવું છે કે આ દવા સસ્તી છે અને કોરોના વાઇરસ સામે ઝૂઝી રહેલાં ગરીબ રાષ્ટ્રો માટે તે બહુ લાભકારક બની શકે છે.
કોરોના વાઇરસના 20માંથી લગભગ 19 દરદીઓ હૉસ્પિટલમાં દાખલ થયા વગર જ સાજા થાય છે. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે, એમાંથી પણ મોટા ભાગના સાજા થઈ જાય પણ કેટલાકને ઓક્સિજનની કે વૅન્ટિલેટરની જરૂર પડે છે. આવા ભારે જોખમ ધરાવતા દરદીઓની વ્હારે ડૅક્સામૅથાસન આવે છે.
આ દવા કેટલાક રોગોમાં દરદ ઘટાડવા માટે કામે લેવાઈ રહી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસ વિરુદ્ધ લડતાં નબળી પડેલી ઇમ્યુન સિસ્ટમથી થતું નુકસાન રોકવામાં મદદ કરી શકે છે.
એક ટ્રાયલમાં, ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની એક ટીમે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 હજાર જેટલા દરદીઓને ડૅક્સામૅથાસન આપી હતી. જ્યારે તેની સરખામણીમાં 4 હજાર કરતાં વધુ દરદીઓને આ દવા નહોતી અપાઈ.
આ ટ્રાયલમાં જે દરદીઓ વૅન્ટિલેટર પર હતા એમનું મૃત્યુ થવાનું જોખમ આ દવા થકી 40 ટકાથી ઘટીને 28 ટકા થઈ ગયું. જ્યારે જે દરદીઓને ઓક્સિજનની જરૂર પડી રહી હતી એમનું મૃત્યુ થવાનું જોખમ 25 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું હતું.
નોંધનીય છે કે કોરોના વાઇરસની સારવાર માટેની ટ્રાયલ છેક માર્ચ મહિનાથી ચાલી રહી છે. તેમાં મલેરિયાની દવા હાઇડ્રોક્સિક્લોરોક્વીન પણ સામેલ છે. જોકે, બાદમાં આ દવાથી મૃત્યુનો દર વધતો હોવાની અને હૃદયની બીમારીનું જોખમ સર્જાતું હોવાની ચિંતા બાદ તેને પડતી મુકાઈ હતી. અન્ય એક દવા રૅમડેસિવિયર પણ છે, જે કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓને સાજા થવામાં મદદ કરી રહી છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.