કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી ‘ખજાનો’ મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું.
ગત અઠવાડિયે ખાણમાં કામ કરતા લૅઝરે 9.2 કિલો અને 5.8 કિલોના પથ્થર ખોદી કાઢ્યા હતા, જે દુનિયામાં એક અનોખા પ્રકારનો પથ્થર ગણાય છે. આ કિંમતી પથ્થર ઉત્તર ટાન્ઝાનિઆમાં જ મળે છે. . બુધવારે તેમણે માન્યારા વિસ્તારમાં એક વેપાર મેળામાં આ પથ્થરનો સોદો કર્યો હતો. લૅઝરને આ પથ્થર બદલે દેશના ખનિજ મંત્રાલય તરફથી 34 લાખ ડૉલર મળ્યા હતા.
આ પથ્થર એવા સમયમાં મળી આવ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે આવનારાં 20 વર્ષમાં આ પથ્થર પૂરી રીતે સમાપ્ત થઈ જશે. અનેક રંગોમાં આવતા આ પથ્થરની કિંમત તેના રંગની સુંદરતા અથવા વિશુદ્ધી પર આધાર રાખે છે. જેટલો સુંદર રંગ અને જેટલો વિશુદ્ધ દેખાતો પથ્થર તેટલી વધારે તેની કિંમત. આ પથ્થર લીલા, લાલ, વાદળી અને જાંબુડિયા રંગનો હોઈ શકે છે. દેશમાં અત્યાર સુધીમાં મળી આવેલા સૌથી મોટા ટાન્ઝાનાઇટ પથ્થરનું વજન ત્રણ કિલો 300 ગ્રામ હતું.
દેશના રાષ્ટ્રપતિ જ્હૉન મૅગુફુલીએ જાતે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “આ લાભ નાનાપાયે ખાણકામ કરતા લોકોનો છે અને ટાન્ઝાનિઆ સમૃદ્ધ દેશ છે.”
લૅઝરનો પરિવાર ઘણો મોટો છે. તેમનાં ચાર પત્ની છે અને 30થી વધારે સંતાનો છે. તેઓ આ પથ્થરોના લાખો રૂપિયાની કિંમત મળવાની ખુશીમાં પરિવાર સાથે ઉજવણી કરશે. તેમણે કહ્યું, “હું એક સ્કૂલ અને શૉપિંગ સેન્ટર બનાવવા માગું છું. હું મારા ઘરની નજીક સ્કૂલ બનાવવા માગું છે. કેટલાક ગરીબ લોકો પોતાનાં બાળકોને સ્કૂલ નથી મોકલી શકતા. મને વેપાર કરતા નથી આવડતો, પરંતુ હું ઇચ્છું છું કે મારાં સંતાનો આ વેપારને સારી રીતે ચલાવે.”
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.