વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંકટ સામે લડવાની સાથે સાથે આર્થિક ગતિવિધિને પણ વેગ આપવા પર જોર આપ્યું છે. પીએમ મોદીએ દેશમાં કોરોના મહામારીને મુદ્દે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. મોદીએ જણાવ્યું કે આપણે તમામ લોકોએ એક બાબત યાદ રાખવાની છે કે, આપણે કોરોનાને જેટલો કાબૂમાં રાખીશું તેટલું જ આપણું અર્થતંત્ર ખુલશે. ઓફિસો, માર્કેટ, ટ્રાન્સ્પોર્ટ વ્યવહાર જેવા ક્ષેત્રો ખુલી શકશે અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ શકશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામેની લડાઈ એ કેન્દ્ર અને રાજ્યોની સહકારી સંઘશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેન્દ્ર અને રાજ્યોએ સાથએ મળીને કોરોના સામે જંગ લડી અને તેને નિયંત્રિત કરી શક્યા. વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સમાં 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગર્વનર પણ જોડાયા હતા. આ બેઠકમાં પીએમએ જણાવ્યું કે તાજેતરમાં અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. અર્થતંત્રમાં સુધારો એ સારી બાબત છે અને આગામી સમયમાં તેમાં વધુ સુધારો નોંધાશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
અર્થતંત્ર ખુલવાથી લોકોએ સુરક્ષાને સાઈડલાઈન નથી કરવાની. નાગરિકોએ પોતે તેમજ તેમના પરિવારજનોને પણ સુરક્ષિત રહેવા માટે પુરતી તકેદારી રાખવાની છે. જાહેરમાં બહાર માસ્ક પહેર્યા વગર નિકળવું અકલ્પનિય છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ અપીલ કરી હતી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.